કલ્યાણ ક્રાઈમ બ્રાન્ચે બિલ્ડિંગમાં બંધ મકાનો જોઈને નકલી ચાવી વડે મકાનમાં ઘૂસીને ચોરી કરનારી ત્રણ બહેનોની ધરપકડ કરી છે.આ ત્રણેય બહેનોમાં સારિકા સકટ, મીના ઈંગલે અને સુજાતા સકટનો તેમાં સમાવેશ છે. ત્રણેય બહેનો ડોમ્બિવલીના એક બંધ ઘરમાંથી ચોરી કરીને પરિવાર સાથે દેવદર્શન માટે જેજુરી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે ત્રણેય બહેનોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ૨૩ તોલા સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
આ ચોરી ડોમ્બિવલી પૂર્વ રામનગર વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં થઈ હતી. ચોરોએ નકલી ચાવી વડે દરવાજો ખોલ્યો હતો અને ઘરમાંથી ૨૩ તોલા સોનાના દાગીનાઓની ચોરી કરી હતી.
ડોમ્બિવલી રામનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે કેસ નોંધવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે ત્રણેય મહિલાઓની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં પોલીસે દરેક રેલ્વે સ્ટેશન પરના સીસીટીવી ચેક કર્યા ત્યારે સીસીટીવીમાં એક મહિલા ઘાટકોપર ઉતરી હોવાનું જોવા મળ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે ત્રણેય મહિલાઓ માનખુર્દ, કુર્લા વિસ્તારની છે.
પોલીસે ત્રણેય મહિલાઓની શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ત્રણેય મહિલાઓ જેજુરીમાં તેમના પરિવારના સભ્યો સાથે દેવ દશૅને ગઈ છે. તેથી પોલીસે જેજુરી ખાતેથી મહિલાઓ ને તાબામાં લઈ તેમની પાસેથી ચોરીના ૨૩ તોલાના સોનાના દાગીના કબજે કર્યા છે.
આ ત્રણેય ક્યારે અને કેવી રીતે ચોરીને અંજામ આપી રહ્યા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.અગાઉ તેમની સામે મુંબઈ-થાણે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યા હતા તેવી માહિતી પોલીસ ઈન્સ્પેક્ટર કિશોર શિરસાથે આપી હતી.


