વ્રજની ત્રણ વાતો પવિત્ર છે - ધેનુ, વેણુ અને રેણુ. વ્રજની ધેનુ (ગાયો) એ કનૈયાને આકર્ષ્યો. એણે એમની ખૂબ સેવા કરી, પરિણામે વ્રજ સંપન્ન બન્યું. કનૈયાની વેણુ એ વ્રજની ગોપીઓને આકર્ષી. તેમણે રાસલીલાનો દિવ્ય અનુભવ ર્ક્યો. વેણુનાદને કારણે વ્રજભૂમિ પૃથ્વીનું સૌભાગ્યતિલક બની. વ્રજની રેણુને પ્રભુએ પોતાના મસ્તક પર પધરાવી હતી, દેહ પર ચોળી હતી,અરે! મુખમાં પણ પધરાવી હતી! એ રેણુએ અક્રૂરજીથી માંડી આજદિન સુધીના કરોડો ભક્તોને આકષ્યૉ છે. વ્રજરજના પ્રભાવથી એમનાં જીવન ધન્ય થયાં છે.
વ્રજરજમાં અંકિત થયેલા પરમાત્માં શ્રીકૃષ્ણના પદચિહનોને દંડવત પ્રણામ કરતા કરતા અક્રૂરજી નંદબાવાને આંગણે પહોંચ્યા. સૂયર્સ્તિની વેળા હતી. એમણે ગૌશાળામાં શ્રીકૃષ્ણ અને બલરામનાં દર્શન કર્યાં. શ્યામસુંદર શ્રીકૃષ્ણે પીતાંબર ધારણ ર્ક્યું હતું અને ગૌરસુંદર બલરામજીએ નીલાંબર. પ્રભુના વાંકડિયા કેશ લલાટ પર વિખરાયેલા હતા. દિવસભરના પરિશ્રમને કારણે પ્રસ્વેદબિંદુઓ ઊભરાઇ આવ્યાં હતાં. ગાયોની પાછળ ચાલવાને કારણે એમની ખરીમાંથી ઊડેલી સફેદ રજકણો પ્રભુના શ્યામ મુખારવિંદ પર ચોંટી ગઇ હતી. એના પર આથમતા સૂર્યના લાલ-કેસરી કિરણો પડવાથી રજકણો એવી ચમકી રહી હતી જાણે પ્રભુના શ્રીઅંગને રત્નોથી મઢી દીધું હોય! પ્રભુના મુખારવિંદ પર સ્મિત શોભી રહ્યું હતું.
અક્રૂરજીએ વિચારી રાખેલું કે તેઓ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે, પરંતુ પ્રભુનું દિવ્યદર્શન થતાં જ તેઓ ગદ્ગદ્ થઇને પ્રભુના ચરણોમાં આળોટવા લાગ્યા શરણે આવ્યો છું. નાથ! એટલું કહેતાં તો એમનો કંઠ રુંધાઇ ગયો, નેત્રો સજળ બન્યાં. ઊઠો, કાકા! કહી શ્રીકૃષ્ણે અક્રૂરજીને ઊભા કર્યા અને આલિંગન આપ્યું. અક્રૂરજીને થયું. હું આ સ્વપ્ન તો નથી જોઇ રહ્યો ને? જગતનો નાથ મને આલિંગન આપે છે? આજે પ્રભુએ મારો સ્વીકાર ર્ક્યો. મારી કાયા તીર્થસમાન બની ગઇ.હું ધન્ય થયો !
શ્રીકૃષ્ણ-બલરામ અક્રૂરજીને ઘરે લઇ ગયા. એમનું સ્વાગત ર્ક્યું. સત્કાર ર્ક્યો, અતિથિરુપે એક ગાય ભેટ આપી. એમને ભોજન કરાવી, ઊંચા આસને બિરાજમાન કર્યા. નંદબાવાએ અક્રૂરજીના કુશલમંગલ સમાચાર પૂછીને એમના આગમનનું પ્રયોજન પૂછ્યું. અક્રૂરજીએ જણાવ્યું કે હું કંસના ધનુષ્ય યજ્ઞનું નિમંત્રણ લઇને આવ્યો છું. રોહિણીનંદન બલરામ અને દેવકીનંદન કૃષ્ણ મથુરા જઇ યજ્ઞપ્રસંગે હાજરી આપે એવી મામા કંસની ઇચ્છા છે. દેવકીનંદન કૃષ્ણ શબ્દ સાંભળતાં જ નંદબાવાને જાણે કાનમાં સીસું રેડાયું હોય એવી વેદના થઇ. અક્રૂરજી, આપ મારા લાલનને લઇ જશો?
હા નંદબાવા ! રાજા કંસે નિમંત્રણ પાઠવ્યું છે. તમે લાલનને ક્યારે લઇ જશો? આવતી કાલે સવારે.
પળવારમાં તો આખા વ્રજમાં સમાચાર ફેલાઇ ગયા. લોકો આ વાત માની ન શક્યા. આવતી કાલે લાલન જશે? એકબીજાને પૂછવા લાગ્યા. લાલન જશે તો આપણે વ્રજમાં જીવી શકીશું? લાલન વગરનું જીવન કેવું હશે? આપણે તો સ્વપ્નમાંય કલ્પના નહોતી કરી કે લાલન આપણને છોડીને જશે. લાલન વગર વ્રજમાં આપણે જીવતા રહી શકીશું? આખી રાત વ્રજમાં કોઇ સૂતું નથી. નંદાલયમાં યશોદામૈયા રોજની જેમ લાલનની પીઠ થપથપાવીને એને પોઢાડી રહ્યાં છે.પરંતુ નથી લાલનની આંખમાં ઊંઘ કે નથી યશોદામૈયાની આંખમાં ઊંઘ. અરધી રાત વીતી ચૂકી. લાલને વિચાર ર્ક્યો. જ્યાં સુધી હું પોઢી નહિ જાઉં ત્યાં સુધી મૈયા પણ નહિ સૂએ. આખા દિવસના કામકાજથી મા થાકી ગઇ હશે. એને આરામની જરુર પડે. લાલને આંખો મીંચી દીધી, જાણે પોઢી ગયા હોય! યશોદામૈયાએ કહ્યું. લાલન, મેં તને ઉછેરીને મોટો કર્યો છે. તું પોઢી જાય ત્યારે કેવો લાગે છે એ હું જાણું છું. બેટા, તું મને છેતરી ન શકે!
આમાં છેતરવાની વાત ક્યાં છે, મા? મને એમ કે મને સૂઇ ગયેલો જાણી તું પણ સૂઇ જાય. મા,આખા દિવસની તું થાકેલી હશે. તારી આંખોને પણ આરામ જોઇએ ને? લાલને માતાને સમજાવવાનો પ્રયાસ ર્ક્યો.
મા કહે,લાલન, તું જાય છે તેથી હવે મારી આંખોને આરામ નહિ મળે. મારી આંખો તારા માર્ગમાં પથરાયેલી રહેશે. હું તારા આગમનની રાહ જોઇશ. તું જલદી આવી જઇશ ને, બેટા? લાલન મૌન રહ્યા.
કહે ને બેટા, તું જલદી પાછો આવી જઇશ ને? યશોદામૈયાએ ફરીથી એ જ પ્રશ્ર્ન ર્ક્યો. લાલને પડખું ફેરવીને મોં છુપાવી દીધું. આખી દુનિયા આગળ જૂઠું બોલી શકાય, મા પાસે કેમ બોલી શકાય? લાલન જાણતા હતા કે હવે વ્રજમાં આવવાનું ક્યારેય શક્ય નહિ બને. આટલી લાગણીશીલ માતાને ખોટી આશાઓ શા માટે બંધાવવી?
જેમ તેમ કરીને રાત પૂરી થઇ. પ્રાત:કાળે અક્રૂરજીએ રથ સજાવીને તૈયાર ર્ક્યો. એમણે નંદબાવાને કહ્યું. બાવા, આપ પણ ગોપજનાને સાથે લઇને ચાલો. આ તો રાજા કંસને ત્યાં પ્રસંગ છે. સૌનું સ્વાગત થશે. જાણે આ વાક્યની રાહ જ જોતાં હોય એમ બિલકુલ આનાકાની કર્યા વગર નંદબાવા થોડાક ગોપજનો સાથે મથુરા જવા તૈયાર થઇ ગયા. શ્રીકૃષ્ણ-બલરામ રથમાં બિરાજ્યા. રથ ચાલવા જતો હતો ત્યાં અચાનક જ ચારે તરફથી ગોપીઓનું વૃંદ રથને ઘેરી વળ્યું. લાલન, અમે તને નહિ જવા દઇએ.
લાલન કહે, મારે જવું જોઇએ. આપ મને જવા દો.
તને કઇ રીતે જવા દઇએ, લાલન? કોઇ પોતાના પ્રાણને એમ કહે કે પ્રાણ! હવે તમે દેહ છોડીને જતા રહો? લાલન, તું કદાચ નહિ જાણતો હોય પણ અમે તને પ્રાણથીય અધિક પ્રેમ કર્યો છે. તું ન જા.
ગોપીઓ રુદન કરતી હતી. વિરહની વ્યથા એટલી હતી કે એક રાતમાં તો ગોપીઓના દેહ સૂકાઇ ગયા, વસ્ત્રો ઢીલાં પડવા લાગ્યા, હાથમાંથી કંગન સરી જવા લાગ્યાં. વાળ સુકાઇ ગયા.અંબોડા છૂટી ગયા. પુષ્પો વિખરાઇ ગયાં અને આંખો રડીરડીને સૂજી ગઇ. ગોપીઓ વિધાતાને કહેવા લાગી.


